લાગણીનો સંબંધ June 29, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.7 comments
આપણે ત્યાં ભલેને એવું કહેવાતું હોય કે પારકા એ પારકા, પરંતુ લાગણીનો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધુ ઘેરો હોય છે એવું મારું માનવું છે. જો કે આમ તો એ બંને સંબંધોની એકબીજા સાથે કોઈ તુલના થઈ શકે જ નહીં… બંનેના રૂપ અલગ છે, સૂર અને તાલ પણ અલગ છે. તમને થશે કે આ સંબંધમાં પણ સૂર અને તાલ? હા, સૂર અને તાલ દરેક સંબંધમાં અને એની અભિવ્યક્તિમાં મોજૂદ હોય જ છે. અને તો યે આપણે લોહીનાં સંબંધ વગર તો કદાચ જીવી શકીએ, પરંતુ લાગણીનાં સંબંધની જો આપણા જીવનમાંથી બાદબાકી કરવામાં આવે તો પછી જીવનમાં જીવવા જેવું જ શું રહે? જીવન તો જાણે યંત્રવત બનીને જ રહી જાય ને?! કોઇ પણ માટે લાગણીનાં સંબંધ વગર જીવવું તો શક્ય જ નથી. તમારું શું માનવું છે?
આમ તો સૌથી મોટો લાગણીનો સંબંધ એટલે કે પ્રેમનો સંબંધ! પરંતુ અહીં માત્ર એક સ્ત્રી અને એક પુરુષનાં લાગણીનાં પ્રેમસંબંધની વાત નથી… એ સંબંધ તો હોઇ શકે છે બે મિત્રો વચ્ચેની લાગણીનો સંબંધ, અથવા તો કોઇ પડોશીનાં નાનકડા બાળક સાથે બંધાઇ ગયેલો લાગણીનો સંબંધ, અથવા તો કોઇને ધર્મનાં માતા-પિતા કે ધર્મનાં ભાઇ-બહેન તરીકે થયેલી લાગણીનો સંબંધ… લાગણીનાં સંબંધનું કોઇ પણ રૂપ અને રંગ હોઇ શકે! પરંતુ એ પણ એટલું સાચું છે કે આ સંબંધ જેટલો ઘેરો હોય છે એટલું જ ઘેરું હોય છે એના તરડાવા કે તૂટવાનું દર્દ પણ!

લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે…
પોતાનાં-પારકાં -જયવદન પટેલ અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા
મિત્રો, તમારે માટે લાગણીનો સંબંધ એટલે શું, એ જરા બતાવશો? હા, અહીં કાવ્યરૂપે જ તો…!! અને કાંઇ યાદ ન આવે તો આપણી ગુજરાતી ભાષા સાથે પણ આપણો લાગણીનો જ સંબંધ છે ને?! અથવા તો આ ‘સહિયારું સર્જન’ સાથેનો તમારી લાગણીનો બંધાયેલો સંબંધ… :-)
લાગણીનાં સંબંધ વિશે મિત્ર રાજીવની એક રચના જોઈએ…
લાગણીનાં સંબંધ વિશેની ઘણી રચનાઓ આપણે ઘણીવાર બ્લોગ-જગતમાં માણી છે… પરંતુ મને અત્યારે યાદ નથી આવતી. એટલે શોધવા કરતાં ચાલોને લખવાનું જ શરૂ કરીએ… :-)
અને મિત્રો, ભૂલશો નહીં… આપણે લાગણી વિશે નહીં (હા, એ વિષય પણ કો’કવાર આપીશું!) પણ લાગણીનાં સંબંધ વિશે લખવાનું છે હોં!!
* * *

