‘વસંત’ ઉપર હાઇકુ અને મુક્તપંચિકા લખીએ… April 27, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.15 comments
દેશમાં મિત્રો જ્યારે ઉનાળાનાં પ્રખર તાપથી શેકાઇ રહ્યા છે, ત્યારે અહીં ઉત્તર અમેરીકાનાં ઉત્તર પ્રદેશોમાંથી બર્ફીલો શિયાળો હજુ માંડ માંડ વિદાય લઇ રહ્યો છે… હજુ પૂરેપુરો જવાનું નામ તો લેતો જ નથી. પણ આપણા વસંતરાજા ય એને કાંઇ કાયમ થોડો ટકવા દેશે?! એમણે પણ આખરે થોડો પગ પેસારો કરી જ દીધો છે અને પોતાનો જાદુ પાથરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે… અને કુદરત જાણે ફરી હસવા લાગી હોય એમ રંગબેરંગી ફૂલો દેખાવા માંડ્યા છે. આખે શિયાળે રીસાયેલી કૈકેયી જેવા ભાસતા પર્ણ વગરનાં વૃક્ષોને આખરે વર્ષમાં એકવાર ફૂલોથી લદાઇને વસંતની દુલ્હન બનવાનો લ્હાવો જરૂર મળે છે… ભલેને પછી એ માત્ર થોડા દિવસો માટે જ કેમ ન હોય! પછી તો એનાં પર પાંદડા આવી જ જવાના છે. વળી અહીં ચોમાસા જેવી કોઇ ઋતુ નથી એટલે વર્ષારાણીને પણ વચ્ચે વચ્ચે અમારા ઉપર ક્યારેક ખુબ જ વ્હાલ આવે છે! (આજે તો જાણે હું કોઇ ગદ્ય-કવિતા કરવા બેસી ગઇ હોઉં એવું લાગે છે નઇં?!
)

(Cherry blossom, 2004…. NJ, USA)
અહીંના વસંતને પણ આપણે ખુબ પ્રેમથી વધાવીએ….
આજનો વિષય રાખીએ: વસંત… વસંતઋતુનું વર્ણન કરતાં આજે માત્ર હાઇકુ અને મુક્તપંચિકાઓ લખીએ.
આ કાવ્યપ્રકારોની ફરી યાદ આપી દઉં…
હાઇકુ: 3 પંકિતથી બનેલું… કુલ 17 અક્ષરોનું… બંધારણ છે- 5,7,5
મુક્તપંચિકા: 5 પંક્તિથી બનેલી… કુલ 27 અક્ષરોનું… બંધારણ છે- 5,5,7,5,5
* કોઇ એક વિચાર કે બનાવને પૂર્ણ રીતે રજૂ કરવો, એ આ કાવ્યપ્રકારોની સાર્થકતા છે! *
તો ચાલો મિત્રો, અમેરીકાના આ વસંતને પણ આપ પણ વધાવશોને?
જરૂર પડે તો થોડા ફૂલોને સામે જરૂર રાખજો, પ્રેરણા માટે!
(મારે તો આખા બગીચામાં જ જવું પડશે એવું લાગે છે!
)
* * *
સંકલિત: પતંગ April 25, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગીત, મુક્તકો, સંકલિત, હાઇકુ.1 comment so far
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ !
* * * (more…)
હું April 20, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.11 comments
આપણે ‘તું’ આવે તેવી રચનાઓ ભેગી કરવાનો અથવા રચવાનો પ્રયાસ કર્યો. આ બહુ મુશ્કેલ કામ હતું - ‘હું‘ ને બાકાત રાખવાનું. બહુ કાળજીથી આપણી જાતને બાકાત રાખવા પ્રયાસ કર્યો.
પણ ‘તું’ને આપણે કવિતામાં મૂકીએ એટલે તે જણાવનાર તરીકે આપણી જાત અભિપ્રેત થઇ જ જાય - ન લખીએ તો પણ ! કેટલું બધું દુષ્કર કામ છે - ‘હું’ ને બાકાત રાખવાનું? ! ચાલો ત્યારે હવે આ ‘હું‘ ભાઇ કે બહેનની જ આરાધના કરીએ !
હું જાઉં છું. હું જાઉં છું. ત્યાં આવશો કોઇ નહીં.
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઇ નહીં. - અજ્ઞાત કવિ
હું કરું. હું કરું એજ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે. - નરસિંહ મહેતા
સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું. - કૈલાસ પંડિત
અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે. - પ્રફુલ્લ દવે
અને મારી ત્રણ રચનાઓ…
હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ?
આંખો મારી અંધ બની, હું કાંઇ ન ભાળું રામ! - હે રામ…
કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.
ધારો કે, ધરી પાંખ હું ઉડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.
અને…. ઊર્મિની એક રચના (આ ‘હું ‘ માટે ખાસ બનાવેલી ! ) -
આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,
ચાલો, હવે આ સરળ કામ કરીને ‘કેમ છો?!‘ થી શરુ કરેલી આ શ્રેણીની પૂર્ણાહૂતિ કરીએ.
જાણીતા કવિઓની અથવા આપણી પોતાની રચનાઓ… ખજાના-શોધ અથવા સર્જનક્રિયા !
* * *
સંકલિત: ‘એ શું?’ April 19, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: એ શું?
* * * (more…)
ત્રિપદી : એક નવો કાવ્યપ્રકાર April 13, 2007
Posted by ઊર્મિસાગર in ત્રિપદી, સર્જનક્રિયા.9 comments
આજે લયસ્તરો પર ત્રિપદીની એક પોસ્ટ જોઇ ત્યારે તરત મને યાદ આવ્યું કે આગળ પણ લયસ્તરો પર ધવલભાઇએ આ કાવ્યપ્રકાર વિશે જણાવ્યું હતું…
ત્રિપદી એ તદ્દન નવો કાવ્ય પ્રકાર છે. કુલ ત્રણ પંક્તિઓ હોય છે. પહેલી અને ત્રીજી પંક્તિમાં કાફિયા-રદીફ મેળવીને ત્રિપદી રચાય છે. (મને સમજાયું એ પ્રમાણે, મુક્તકની પ્રથમ પંક્તિને કાઢી નાંખો અને એક જ વિચારને ત્રણ પંક્તિમાં જાળવી રાખો, એટલે બની જશે ત્રિપદી! ) અને છંદની જાળવણી જો ત્રણેય પંક્તિઓમાં થાય તો તો પછી પુછવું જ શું?!!
મુકેશ જોષીની આ ત્રિપદી જોઇએ…
જળ ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વાસમાં એ હોય પણ
તું પવનનું ઘર બતાવે તો ખરો
ઉદયન ઠક્કરની એક ત્રિપદી જોઇએ…
નાની સરખી યુક્તિ અજમાવી લીધી
આ જુઓને, એણે શીર્ષાસન કર્યું
રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી
હેમેન શાહની એક ત્રિપદી…
દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.
વધુ ત્રિવેદીઓ માણો… લયસ્તરો પર.
આજે આ નવા કાવ્યપ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરીએ છીએ એટલે કોઇ વિષયનું બંધન નથી… પ્રથમ દેવને યાદ કરીને એમનાં વિશે લખી શકો છો… કે પછી કૃષ્ણ, રામ, અલ્લાહ કે ઈશુનાં ધાર્મિક વિષય પર… અથવા તો કોઇ પણ બીજા વિષય પર. માત્ર ત્રિપદીનું બંધારણ સાચવવાનું છે… છંદ ન સચવાય તો પણ રદીફ-કાફિયા સાચવવાનો ખાસ આગ્રહ છે.
તો ચાલો મિત્રો, ત્રિપદીઓ માટે તૈયાર થઇ છો ને?!! આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ…
* * *
સંકલિત: ‘સમય’ પર મુક્તપંચિકાઓ April 10, 2007
Posted by ઊર્મિસાગર in મુક્તપંચિકા, સંકલિત.6 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. (more…)
તું April 6, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.17 comments
‘ હું અને તું’ નું વર્તુળ તો બહુ લાંબું વિસ્તર્યું ! હવે તેને થોડું ટૂંકું કરીએ. માત્ર ‘તું’ જ . બીજું કોઇ નહીં . ‘હું’ પણ નહીં !!
આ જરા મુશ્કેલ કામ છે, નહીં - હું ને બાકાત રાખવાનું ? !!
જુઓ! આદ્યકવિ નરસિંહ મહેતા શું કહે છે? -
” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપ અનંત ભાસે. ”
અને કવિ શ્રી. સુંદરમ્ માતાજી માટે કહે છે -
“ ઘટ ઘટ ભીતર નર્તનહારી, તું હૃદયે વસનારી… “
અને ગઝલ સમ્રાટ શ્રી. અમૃત ઘાયલ કહે છે-
” તું મારે માટે કરવા શું ધારે છે, એ કહે !
નિત સ્વપ્નમાં શું કામ પધારે છે, એ કહે. “ ( જો કે પાછલે બારણે તો તેમનો ‘હું’ ડોકાય છે ખરો ! )
ચાલો આ થોડું મુશ્કેલ કામ પાર પાડવા કીબોર્ડ પર હાથ અજમાવીએ-
જાણીતા અને માનીતા કવિઓની રચનાઓ … નહીં તો આપણી પોતાની …

